12/04/2026
..... યાદશક્તિ ઘટવી, memory issue અને એનાં અસરકારક ઇલાજ. જેને મેમરી લોસ છે એ વ્યક્તિને તો ખબર પડવી જોઈએ ને કે પોતાને મેમરી લોસ છે..! બોસ કે મોટા સાહેબ હોય તો સ્ટાફ થોડો કહેવાનો છે? પતિ, પત્નીમાંથી કોઈને હોય તોય, વિવાદથી બચવા ચૂપ રહે છે..!
ફ્રિજ ખોલ્યા બાદ કેમ ખોલેલું એ યાદ ન આવે, કોઈનું નામ ભૂલી જવાય, ખરીદી કરવા ગયા તો શું ખરીદવા આવેલા એ યાદ ન આવે. આવા અનેક પ્રશ્નો છે.
પણ..; કોરોના પછી ટેન્શનને કારણે, ધંધો-નોકરી બંધ થવાને કે બદલાઈ જવાને કારણે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં અનેક લોકોને રિએક્ટિવ મેમરી લોસ આવ્યો છે. બાકી હતું તો ઘણાનો હવે ફેબ્રુઆરીથી ચાલી રહેલી લડાઈ પછી મેમરી લોસ આવ્યો છે.
ઇલાજ: બપોરે અને રાત્રે ભોજન બાદ અડધી ચમચી બ્રાહ્મી પાવડર પાણી સાથે લઈ શકાય. બ્રાહ્મીથી કુદરતી રૂપમાં સેરેટોનિન, ડોપામીન મળે છે. આ બંને ન્યૂરો ટ્રાન્સમીટર્સ આપણને તણાવ અને ડિપ્રેશનથી બચાવી શકે છે.
નિયમિત રીતે 20 થી 30 મિનિટનો પ્રાણાયામ આપણા મગજને તરબતર કરી નાખે છે. મગજને લોહી અને ઓક્સિજન ઓછા પડે એટલે આપણને કંટાળો આવે છે, કારણ વગરનો થાક લાગે છે. પ્રાણાયામથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજને સારા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પહોંચે છે.
આપણા મગજને,આશરે 20 % અને હૃદયને 15 % ઓક્સિજનની નિયમિત જરૂર પડે છે. ઓક્સિજન ઓછો પડે એટલે સ્ટ્રેસ હોર્મોન, કોર્ટિસોલ વધી શકે છે. પરંતુ, આપણે નિયમિત પ્રાણાયામ કરતાં રહીએ તો કોર્ટિસોલ પણ બેલેન્સ રહે છે.
દોસ્તો, સવારમાં કોર્ટિસોલ વધે તો આપણી અંદર ઉત્સાહ આવે અને ધમધમાટ દિવસ શરૂ થાય. પણ, સાંજે ઘેર આવ્યા પછી કોર્ટિસોલ વધે તો નવરા મગજનાં ખોટા વિચારોનો ધમધમાટ શરૂ થાય. ટૂંકમાં સાજા રહેવું હોય અને બહુ વિજ્ઞાન યાદ ન રાખવું હોય તો નિયમિત સવાર, સાંજ પ્રાણાયામ કરવા જોઈએ. વાંચવા બદલ આભાર. વાંચો, અમલ કરો અને.., સ્વસ્થ રહો, મસ્ત રહો, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અપોઇન્ટમેન્ટ માટે: 7874744676, 9913238263, અમદાવાદ..
11/04/2026
..... મો કડવું કેમ થઈ જાય છે? ભૂખ લાગી અને નાસ્તામાં બે ગળ્યાં કેળા ચાવીને ખાધા. પણ, જેવું ત્રીજું કેળું ખાવાનું શરુ કર્યું કે તરત એનો સ્વાદ બદલાવા લાગ્યો. એવું લાગ્યું કે ગળપણ ઘટી ગયું..! એક જ "લૂમ"માંથી ત્રણેય કેળાં ખાધેલા તો આવું કેમ?
એને કહેવાય શરીરની ભાષા. શરીરને જરૂર હતી બે કેળાની જે એને મળી ગયા. આપણે લાલચમાં કે અભાનપણે જો ત્રીજું ખાઈએ તો તરત જ શરીર જીભનો સ્વાદ બદલી નાખે છે જેથી આપણે અટકીએ. તોય ન અટક્યા અને ચોથું કેળું ખાઈએ તો એ ફિક્કું, જરાક કડવું લાગશે. મગજ અને પાચનતંત્ર ભેગા થઈને આપણને અટકાવે છે. કારણ, ભૂલ આપણે કરીએ છીએ અને લડવું એમણે પડે છે.
આવી જ વાત ઇન્ફેક્શન, તાવ કે થાક હોય ત્યારે પણ બની શકે છે. શરીરમાં અપચો, indigestion થાય, ખાવાની વસ્તુથી infection, ચેપ લાગે કે બીજી અંદરની બીમારી આવે ત્યારે પણ શરીર અને મગજ ભેગા થઈને મોને કડવું કરી દે છે.
આપણે આપણાં શરીરથી એટલા દૂર થઈ ગયા છીએ કે શરીરની સામાન્ય ભાષાને પણ સમજી શકતા નથી. વાદળો હોય, પેટ ભરેલું હોય તોય આપણે મશીનની માફક રોજની જેમ ખાઈ લઈએ છીએ. ભરેલા પેટે હોટલમાં કે જાહેર ફંકશનમાં, સારા કપડાથી "ભરેલા પેટ"ને ઢાંકીને પહોંચી જઈએ છીએ.
દોસ્તો, પ્રાણીઓને ભૂખ હોય ત્યારે ખાય છે. પણ, માણસ જ્યારે પ્રાણીમાં રહેલી શરીરની સમજણથી પણ નીચે ઉતરી જાય છે ત્યારે શરીર પાસે બે રસ્તા બચે છે; યા ઉલટી યા ડાયરિયા. પ્રાણીને સામાન્ય ઇજા થાય તો પણ એ અમુક સમય માટે ખાવાનું છોડી દે છે એટલે શરીર એને રિપેર કરી નાખે છે. પ્રાણી જીવવા માટે ખાય છે અને, વિચારોથી તણાવથી પરેશાન માણસ ખાવા માટે જીવે છે. વાંચવા બદલ આભાર મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: 7874744676, 9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
07/04/2026
.....પહેલાં મનનાં ભાવ, feeling પછી ક્રિયા, action. પગથિયાં ચડવા એટલે? ગિરનાર કે પાવાગઢ ચડવાનો થોડો હોય છે..!? એમાં તો દરેક પગથિયે એક ભાવથી જઈએ છીએ. એટલે, એને યાત્રા(જાત્રા?) કહેવાય છે. કેમ કે ત્યાં તીર્થસ્થાન છે. શરીર પોતે પણ એક દિવ્ય તીર્થ છે એ યાદ રાખીએ. અને, શરીરતીર્થની મદદથી જ જીવનની કપરી લાગતી યાત્રા રોજેરોજ આગળ વધે છે.
આપણે જ્યારે પરાણે ચાલીએ કે પગથિયાં ચડીએ ત્યારે આપણાં મસલ્સ કડક અને ખેંચાયેલા રહે છે. ચાલવાનો કે પગથિયાં ચડવાનો વધુમાં વધુ ભાર પગ ઉપર આવે છે. એટલે પગ વધુ દુઃખે છે.
જો આપણે નિરાંત અને સ્વીકાર-ભાવથી ચાલીએ તો શરીરનાં મસલ્સ અને અગણિત કોષો શરીરનું ઘણું વજન ઉપાડી લે છે. એટલે, પગ ઉપર શરીરનો ઓછો ભાર આવે છે.
અનેક લોકો ચાલે ત્યારે એમનો ચાલવાનો અવાજ વધુ આવે છે, પગ ઢસડીને (કે જીવન ઢસડીને?) ચાલતા રહે છે..! આપણે જ્યારે નિરાશ જીવીએ, આવતીકાલની ચિંતામાં ડૂબેલા રહીએ ત્યારે એ ચિંતા અને નિરાશાનો ભાર આખા શરીરનાં મસલ્સ, હાડકાં અને cells, કોષો ઉપર પડે છે.
દોસ્તો, આપણને ખાલી બે જ મગજ થોડા છે?શરીરનાં એક એક cell, કોષ પોતાનું અલગ મગજ ધરાવે છે. આ દરેક સેલની પાસે ભૂતકાળનો ડેટા છે, એમને ભવિષ્યની ખબર છે. પણ, એમની કરુણતા એ છે કે આપણે વર્તમાનમાં જીવતા નથી અને આપણાં આ કોષોને વર્તમાનકાળમાં જીવવું છે..!
...એને કૂદાકૂદ કરવી છે, એને પહાડ ચડવો છે કે પગથિયાં ચડવા છે, એને ગોળગોળ ફરવું છે. કારણ, દરેક સેલ થોડુંક જ જીવે છે પણ જીવી જાણે છે. આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ.
06/04/2026
..... શુક્રાણુ ઘટાડવા કપાસિયા, Gossypol, નાં ઉપયોગ.(1)... ચીનમાં થયેલ ઊંડા સંશોધન મુજબ કપાસિયા, cotton seedsમાંથી બનતી દવા શુક્રાણુ ઘટાડવા, oligospermia કે શુક્રાણુ સાવ શૂન્ય કરવા, azoospermia નું કામ કરે છે. હવે એ દવાઓ ઉપર ચીનમાં પ્રતિબંધ છે, (2) સદીઓથી કપાસનાં મૂળની છાલ, cotton root barkનો ઉપયોગ બહેનોનાં ગર્ભપાત માટે થાય છે..!
દોસ્તો, વર્ષો અગાઉ કાંતિ ભટ્ટે લખેલું કે ચીનમાં વસ્તીવધારાને કાબુમાં લેવા, કપાસિયામાંથી બનેલી gesip નામની દવા વપરાય છે..! આ જ કપાસમાંથી બનતું કપાસિયા તેલ શુક્રાણુ અને ગર્ભ ઉપર શું કામ કરે એનું રિસર્ચ મળતું નથી. આટલું વાંચ્યા પછી, કપાસિયાનું તેલ, cotton seed oil ખાવું જોઈએ કે નહી..!. અને ખાવું જ હોય તો "Degossypolized" લખેલું તેલ ખાઈ શકાય એવી માહિતી રિસર્ચમાંથી મળે છે. મારું કામ આપને સાચી, વૈજ્ઞાનિક માહિતી આપવાનું છે.
આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
03/04/2026
.....શેકેલાં ચણાનો પાવડર અને પાણી એટલે સત્તુ. કારમી ગરીબીમાં ભૂખમરાથી પીડાતા અનેક બિહારી લોકો વર્ષોથી મજબૂરીમાં પણ આનો ઉપયોગ કરે છે. એ લોકો ભૂખ લાગે ત્યારે આને પાણીમાં ઓગાળીને પી જાય છે. એમનું પાચનતંત્ર આ પ્રોટીનનો ઉપયોગ કરી લે છે. સમેત શિખરજી(હવે ઝારખંડ)નાં દર્શન માટે લોકો જાય ત્યારે આવા લોકોની સેવા મળી રહે છે.
જ્યારે "બુદ્ધિનો દુકાળ પડે ત્યારે", ઓછી મહેનતે આરોગ્ય મેળવવા માટે લોકો દોડે છે. શેકેલાં ચણાનો પાવડર, બેસી રહેનાર માણસ માટે ગંભીર જોખમ પેદા કરે છે. કારણ, એમાં રહેલું પ્રોટીન અપચો, ગેસ, એસિડીટી, યુરિક એસિડ, છાતીમાં દબાણ અને હાઈ બ્લડપ્રેશર સુધીની તકલીફ કરી શકે છે. 100 ગ્રામ ચણા પાવડરમાં પચવામાં ભારે એવું આશરે 22 ગ્રામ પ્રોટીન છે અને જવનું સત્તુ હોય તો 12 ગ્રામ પ્રોટીન હોય.
ખુરશીમાં, આળસને ઓટલે બેઠા બેઠા આપણે ખોરાકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જે દિવસે ફોન ખિસ્સામાં મૂકીને ચાલતા ચાલતા પાચનનો વિચાર કરીશું એ દિવસથી "આરોગ્ય" આપણી "જીગરજાન પ્રેમિકા કે પ્રેમી" બની રહેશે.
દોસ્તો, આપણે અંબાજી, શામળાજી, કેસરીયાજી, સમેત શિખરજી; આ દરેક તીર્થસ્થાનને જી લગાડીએ છીએ. પણ, એ બનાવ્યું છે "મજૂર""જી" એ. અને આપણે જાણે અજાણે દરરોજ આંખોથી, વર્તનથી અને મજૂરી ચૂકવતી વખતે મજૂરજીનું અપમાન કરતા રહીએ છીએ. આવા મજૂરજીને થોડો આદર આપીએ તો તીર્થજી આપણી અંદર પ્રગટ થશે.
થોડી વાર માટે "વિજ્ઞાનજી"ને બાજુ પર રાખીને "મજૂરજી"ની રોજની જિંદગીને સમજીએ તો આરામ અને આરોગ્યનાં નિયમો સમજાશે. અને, કસરતજીને આદર આપીએ તો "આરોગ્યજી"નો આસ્વાદ મળતો રહેશે. આભાર, મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: 9913230263, 7874744676,નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
01/04/2026
આવતીકાલે બપોરે ૧:૫૦ વાગ્યે લાઈવ પ્રોગ્રામ: મહેનતકશ બહેનો માટે સેમિનાર અને પ્રશ્નોનાં જવાબો, 💐💐🌺🌺